મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસ : ઈડીએ ૫૮૦ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા, દરોડામાં રોકડ અને કિંમતી સામાન પણ જપ્ત

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં અપરાધની આવકમાંથી મળેલા ૫૮૦ કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે. આ ઉપરાંત દરોડા દરમિયાન ૧.૮૬ કરોડ રૂપિયાની રોકડ અને ૧.૭૮ કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ED દ્વારા તાજેતરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, રાયપુર, ઈન્દોર અને ગુરુગ્રામમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. ED અનુસાર, આ કેસમાં અપરાધમાંથી મળેલી અંદાજિત આવક ૬૦૦૦ કરોડ રૂપિયા છે.

ઈડીએ છત્તીસગઢ પોલીસની FIR પર તેની તપાસ શરૂ કરી હતી.આ સિવાય વિશાખાપટ્ટનમ પોલીસ અને અન્ય કેટલાક રાજ્યોની પોલીસે પણ મહાદેવ એપ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેને પણ ઈડી દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મહાદેવ એપ દુબઈથી ચલાવવામાં આવી રહી હતી, જેની ફ્રેન્ચાઈઝી ઘણા દેશોમાં ૭૦ થી ૩૦ ટકા પ્રોફિટ માજન પર અલગ-અલગ નામથી આપવામાં આવી હતી. મહાદેવ એપના પ્રમોટર્સ રેડી અન્ના ફેર પ્લે અને અન્ય એપ્સ જેવી કેટલીક અન્ય બેટિંગ એપ્સમાં પણ ભાગીદાર હતા. આ એપ્સ દ્વારા થતી કમાણી નકલી બેંક એકાઉન્ટ અને હવાલા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. તપાસ દરમિયાન ખબર પડી કે દુબઈમાં રહેતા કોલકાતાના મોટા હવાલા બિઝનેસમેન હરિ શંકર ટિબરવાલ મહાદેવ એપના પ્રમોટર સાથે આ બિઝનેસને આગળ ધપાવે છે.

આ માહિતી પછી, ઈડીએ હરિ શંકર અને તેના નજીકના લોકોના સ્થાનો પર દરોડા પાડ્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે તે સ્કાય એક્સચેન્જના નામે પોતાની સટ્ટાબાજીની એપ પણ ચલાવી રહ્યો હતો. આ સટ્ટાબાજીની એપની કમાણી એફપીઆઇ રૂટ દ્વારા ભારતીય શેરબજારમાં રોકાણ કરવામાં આવી રહી હતી. આ સિવાય તેણે તેના ઘણા સહયોગીઓને નકલી કંપનીના ડિરેક્ટર અને કર્મચારી બતાવ્યા હતા, જેમના દ્વારા તે શેરબજારમાં પૈસા રોક્તો હતો. હરિ શંકર વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે, ઈડીએ પીએમએલએ હેઠળ ૫૮૦.૭૮ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે.

મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં છત્તીસગઢના ઘણા ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ અને અમલદારો સંડોવાયેલા હોવાના અહેવાલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સોલ્ટ લેકમાં એક બિઝનેસમેનના રહેઠાણ અને ઓફિસનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસની તપાસના ભાગરૂપે તાજેતરમાં મુંબઈ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી-એનસીઆરમાં કુલ ૧૫ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ કરી છે.

ઈડીએ અગાઉ કહ્યું હતું કે એપ દ્વારા કથિત ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ છત્તીસગઢમાં રાજકારણીઓ અને અમલદારોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો. એપના મુખ્ય પ્રમોટર્સ અને ઓપરેટરો માત્ર છત્તીસગઢના જ છે. એજન્સીએ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથેના તેમના સંબંધો અંગે પૂછપરછ માટે ઘણી સેલિબ્રિટીઝ અને બોલિવૂડ કલાકારોને સમન્સ પાઠવ્યા છે.