- અનાજમાં થતી ગેરરિતી અટકાવવા પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ શરૂ કર્યું અભિયાન, 9409142404 નંબર પર સંપર્ક કરી શકાશે.
ગોધરા,રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013” રાજયમાં વર્ષ 2016થી અમલમાં છે. જે અંતર્ગત તમામ અંત્યોદય(એ.એ.વાય.) રેશનકાર્ડધારકો, બી.પી.એલ. અને એ.પી.એલ. રેશનકાર્ડધારકોને એન.એફ.એસ.એ. હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે.જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજયની તમામ વાજબી ભાવની દુકાનોમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા.01/03/2018ના પરિપત્રથી તા.31/03/2018 થી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિપરીત થતી આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ જે તે સંબંધિત રેશનકાર્ડ ધારકના આધારના ડેટા સાથે મેચ કરીને એટલે કે આધારના ડેટાથી ઓળખ પ્રસ્થાપિત કરીને કરવાનું રહે છે. જે અંતર્ગત તમામ પ્રકારના એન.એફ.એસ.એ. રેશનકાર્ડધારકોના બાયોમેટ્રિક આધાર સાથે મોબાઇલ નંબર લીંક કરવામાં આવેલ હોય, તેવા રેશનકાર્ડ ધારકને દર માસે અનાજ માટેનો મેસેજ આવતા હશે.
અત્રેના પંચમહાલ જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોને જણાવવાનું કે આપ સૌ સુવિદિત છો કે સરકારની સ્થાયી સૂચના મુજબ સરકાર માન્ય વાજબી ભાવની દુકાન(કંટોલ) પર તમોને મળવાપાત્ર અનાજનો જથ્થો લેવા માટે જાઓ ત્યારે તમારા કુટુંબના કોઇપણ 1(એક) સભ્ય ઘ્વારા અંગૂઠો(થમ્બ)/ફિંગર મુકીને જ અનાજ ઉપાડી શકાય છે. જે આધારકાર્ડ સાથે લીંક/સીડીંગ થયેલ છે તેવા મોબાઇલ નંબર પર આપને અનાજ મળેલ છે તેવો મેસેજ આવે છે. જે બરાબર છે.
પરંતુ, પંચમહાલ જિલ્લામાં જો તમો સરકાર માન્ય વાજબી ભાવની દુકાન પર કોઇ કારણસર અનાજ લેવા જતા ન હોય કે અનાજ મેળવતાં ન હોય કે અગાઉ પણ સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ખાતેથી અનાજ લીધેલ ન હોય, કે અંગૂઠો(થમ્બ), ફિંગર મુકેલ ન હોય તેમ છતા તમારા મોબાઇલ પર તમારા નામે તમારા રેશનકાર્ડનું અનાજ ઉપડેલ છે, તેવો મેસેજ ભુતકાળમાં આવેલ હોય અથવા હવે પછી ભવિષ્યમાં પણ મેસેજ આવે તો એચ.ટી.મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી, પંચમહાલ ગોધરાનો રૂબરૂ સંપર્ક કરવા અથવા તેમના મોબાઇલ નંબર 9409142404 પર વોટસઅપ પર ખાનગી રાહે વોટસઅપ મેસેજ ઘ્વારા માહિતી આપવા અનુરોધ કરવામાં આવે છે. કારણકે હમણાં જ તાજેતરમાં ઘી નવયુગ ગ્રાહક સહકારી મંડળી, તીરગરવાસ ગોઘરા દ્વારા રેશનકાર્ડધારકના કોઇપણ સભ્યએ અંગૂઠો/ફિંગર પ્રિન્ટ મૂકેલ ન હતી છતા તેઓના નામે નકલી સોફટવેરના માઘ્યમથી અનાજ ઉપડતું હતું.
આ સાથે વોટસઅપ પર મેસેજ ન કરો તો રૂબરૂ કચેરીમાં આવીને માહિતી આપી શકાશે.માહિતી આપનારની તમામ વિગતો ખાનગી રાખવામાં આવશે. તેમ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.