પશ્ચિમ બંગાળના સંદેશખાલી મામલે દખલ કરવાનો સુપ્રીમનો ઇનકાર

 સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સંદેશખાલી મામલામાં દખલ કરવાનો ઈનકાર કર્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈ કે એસઆઈટી તપાસની અરજી પર સુનાવણી કરવાની પણ મનાઈ કરી દીધી છે. સાથે જ કોર્ટે અરજીકર્તાને કોલકાત્તા હાઈકોર્ટમાં જવા કહ્યું છે. વકીલ અલખ શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. હવે તેમણે પોતાની અરજીકર્તા પરત લઈ લીધી છે.

સુપ્રીમે કહ્યું કે સંદેશખાલી મામલાની સરખામણી મણિપુર સાથે ન કરો. મામલાને હાઈકોર્ટે સ્વંયપણે ધ્યાનમાં લીધો છે. હાઇકોર્ટ એસઆઈટી દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપવા માટે સક્ષમ છે.

સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિતોને લઈને ઉત્સુકતા અને સહાનુભૂતિને સમજીએ છીએ,પરંતુ આ કોર્ટ દ્વારા કોઈ તપાસની દેખરેખ સંપૂર્ણ રીતે અલગ છે. ત્યાર પછી અરજીકર્તાએ પોતાની અરજી પરત લઈ લીધી છે. જસ્ટિસ જીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી. બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન રેખા શર્માએ સોમવારે સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા યૌનશોષણના આરોપના મામલામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માંગ અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ પણ કરી છે.