
ગુરુદાસપુર, ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, કારણકે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ઠાકુરપુર ગામ નજીક ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યો હતો. આ અંગે બીએસફના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિક અજાણતાં ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો અને તેની પાસેથી કંઈ વાંધાજનક વસ્તુ મળી નથી.
બીએસફ પંજાબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (એક્સ) પર પોસ્ટ કરીને માહિતી આપતાં હતી. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ’૨૦૨૪ની ૧૬મી ફેબ્રુઆરીએ બીએસફ સૈનિકોએ સરહદ નજીક એક પાકિસ્તાની નાગરિક જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ગુરદાસપુર જિલ્લાના ઠાકુરપુર ગામ નજીક ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યો ત્યારે તેને પકડ્યો હતો.’ આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, ’પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે પકડાયેલા પાકિસ્તાની નાગરિક અજાણતાં ભારતીય વિસ્તારમાં પહોંચી ગયો હતો અને તેની પાસેથી કંઈ વાંધાજનક વસ્તું મળી ન હતી. આ સાથે જ બીએસફએ આ નાગરિકને વધુ તપાસ માટે પંજાબ પોલીસને સોંપી દીધો હતો.’
આ અગાઉ ૬ ફેબ્રુઆરીએ બીએસફએ બે અલગ-અલગ ઘટનાઓમાં પંજાબમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર બે ગેરકાયદે ઘૂસણખોરોને પકડ્યા હતા. આ ઉપરાંત ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ પંજાબના ગઝનીવાલા ગામમાંથી ભારતીય સરહદમાં ઘૂસ્યા બાદ એક પાકિસ્તાની નાગરિકને બીએસફએ ઝડપી પાડ્યો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાન રેન્જર્સનો સંપર્ક કરીને આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અધિકારીએ કહ્યું હતું કે પકડાયેલા પાકિસ્તાની નાગરિકને બાદમાં માનવતાના આધારે પાકિસ્તાન રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.