
- 16 સપ્ટેમ્બર-2022 ના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠકમાં કરવામાં આવેલ કેટલાક પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે માંગ કરવામાં આવી
- રાજ્યના વિવિધ મંડળો દ્વારા પડતર પ્રશ્ર્નો ની માંગણીઓ માટે 23 ફેબ્રુઆરી-2024 ના રોજ રાજ્ય લેવલે ધારણા કરી આંદોલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
ફતેપુરા,ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તેમજ રાજ્યના ફિક્સ પગારની મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિતના પડતર પ્રશ્ર્નો સંદર્ભે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તેના અનુસંધાને તારીખ 16/9/2022 ના પાંચ મંત્રીઓની સમિતિ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં કેટલાક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તે પૈકી પણ અમુક પ્રશ્ર્નોનો આજ દિન સુધી ઉકેલ થયેલ નહિ હોઇ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના તારીખ 5/2/2019 ના પત્રથી આંદોલન કાર્યક્રમ ચાલી રહેલ છે. તેના અનુસંધાને દાહોદ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના સભ્યો દ્વારા પડતર માંગણી ઓથી વંચિત રહેતા ગતરોજ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળના સભ્યો દ્વારા કાળી રીબીન ધારણ કરી દાહોદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ કાળા કપડા ધારણ કરી ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દાહોદ જીલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રી ગુજરાત સરકારને આવેદનપત્ર આપતા દાહોદ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન: શરૂ કરવી,તેમજ ફિક્સ પગાર યોજના(જ્ઞાન સહાયક, કરાર આધારિત)મૂળ અસરથી દૂર કરવી,સરકાર સાથે થયેલ સમાધાન પરંતુ બાકી રહેલ પ્રશ્ર્નોનું નિરાકરણ સત્વરે કરવું,તેમજ તારીખ 1/4 /2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓને જી.પી.એફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી બધા ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ વિગેરે આપવા, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું 25 ટકા થાય ત્યારે ઘર ભાડા ભથ્થું 9, 18,27ટકા તેમજ મોંઘવારી ભથ્થું 50 ટકા થાય ત્યારે ઘર ભાડા ભથ્થું 10, 20,30 ટકા ના દરે આપવું જેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ તથા અન્ય કર્મચારી મંડળો દ્વારા હાલમાં જાહેર કરેલા આંદોલનાત્મક કાર્યક્રમમાં સંપૂર્ણપણે નિષ્ઠાથી મહાસંઘની મહાશક્તિ બતાવી કર્મચારી એકતા પુરવાર કરવા આદેશ કરવામાં આવેલ છે અને આ આદેશોનું સંપૂર્ણપણે પાલન કરવા પણ જણાવાયું છે. તેમજ આ આંદોલનના ભાગરૂપે 14 ફેબ્રુઆરીના રોજ કાળી પટ્ટી ધારણ કરવી,15 ફેબ્રુઆરી કાળી પટ્ટી ધારણ કરવી અને જીલ્લાના વડાને આવેદનપત્ર આપવું. 16 ફેબ્રુઆરી કાળા કપડા ધારણ કરી ફરજ બજાવવી, જ્યારે 23 ફેબ્રુઆરી-2024 ના રોજ રાજ્ય લેવલે ધારણા કરવા આંદોલનાત્મક કાર્યક્રમ રાખવાનું પણ આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.