- ફતેપુરા તાલુકાના કાળિયા વલુન્ડા ગામે હનુમાનજીની ટેકરીવાળા બાયપાસ નવીન રસ્તાને બનાવવામાં માટે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી.
ફતેપુરા,ફતેપુરા નગરને અડીને આવેલા કાળીયા વલુંડા ગામમાંથી પસાર થતો રસ્તો જે હનુમાન ટેકરી થઈને જાગૃતિ ક્ધયા વિદ્યાલય થઈને નવીન બસ સ્ટેશન સુધી જઈ રહ્યો છે. આજુબાજુના જમીનદારોએ રસ્તો બનાવવા માટે જમીન તો આપી દીધી છે. વાહનોની અવર-જવર પણ થઈ રહી છે. પરંતુ આ રસ્તા ઉપર કામ ચલાઉ રસ્તો બનાવવાના કારણે ખાડા ટેકરા તેમજ ધુળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે બાયપાસ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તથા આ રસ્તા ઉપર બાલવાડી થી 12 ધોરણ સુધીની શાળાઓ પણ આવેલી છે.શાળાઓએ જતાં વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સલરા જીલ્લા પંચાયતના સભ્ય, તાલુકા સભ્ય તેમજ ગ્રામજનો દ્વારા 129 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ભુરાભાઈ કટારાને નવીન રસ્તો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.જો આ રસ્તો ઝડપથી બનાવવામાં આવે તો ભારે તેમજ હલકા વાહનોને કારણે ફતેપુરા નગરમાં થતી ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવશે. તેમજ નવીન બસસ્ટેશન તેમજ રાજસ્થાન તરફ જતાં વાહનો તેમજ રાહદારીઓને નગરમાં પસાર થયા વગર સીધા ઝાલોદ બાયપાસ રસ્તે પહોંચી જવાશે.ત્યારે સત્વરે આ રસ્તો મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.