જૂનાગઢ તોડકાંડના ખેલાડી તરલ ભટ્ટના ઘરે દરોડા,એટીએસ એ તપાસ તેજ કરી

અમદાવાદ, જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસની તપાસ તેજ બની છે. જેના પગલે પી આઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ એજન્સીઓના દરોડા પડ્યા છે. તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે એટીએસની જુદી જુદી ટીમો કાર્યરત થઈ છે. તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા સર્ચ કરવામાં આવ્યુ છે.

અમદાવાદના માધુપુરામાં ૨૫૦૦ કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે ૧,૦૦૦થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે.પીસીબી દ્વારા એસએમસીને ૫૩૫ બેક્ધ એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના ૧,૦૦૦ બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.

જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રુપિયા માગ્યા હતા. એકાઉન્ડ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના ૮૦ ટકા રકમની માગણી કરી હતી. બેક્ધ દ્વારા એટીએસને ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે.

મહત્વનું છે કે જુનાગઢ તોડકાંડમાં ગુજરાત એટીએસ દ્વારા ડીઆઇજી દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, એસઓજી પોલીસ એ.એમ. ગોહિલ અને એએસઆઇ દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે.