દાહોદમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પોલીસની તિરંગા યાત્રા યોજાઈ

દાહોદ,સમગ્ર ભારત આવતીકાલે પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે.સાથે સાથે આઝાદીનો અમૃતકાળ પણ ચાલી રહ્યો હોવાથી દાહોદ પોલીસ દ્વારા 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી. દાહોદ પોલીસ હેડક્વાટર ખાતે એસટી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રાને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા લીલીઝડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,લીમખેડા ડિવિઝનના એએસપી વિશાખા જૈન, હેડકવાટર ડીવાયએસપી સાજીદ રાઠોડ, પ્રોબેશન એએસપી ચિરાગ કંસારા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ, મહેશ દેસાઈ,કઈઇ પીઆઇ કે.બી.ડીંડોર તેમજ પીએસઆઇ કક્ષાના અધિકારીઓ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જીઆરડી જવાનો, ટીઆરબી જવાનો, મોટી સંખ્યામાં વોરા કોમ્યુનિટીના અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. પોલીસ હેડકવાટર ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા આંબેડકર ચોક થઈ માણેકચોક પહોંચી હતી, ત્યારબાદ માણેકચોક થી ભગિની સમાજ, સરસ્વતી સર્કલ થઈ સ્વામી વિવેકાનંદ ચોક ખાતેથી પરત એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા પુર્ણાહુતિ કરવામાં આવી હતી. જ્યાં ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલી તિરંગા યાત્રા નો હેતુ એટલો હતો કે દાહોદવાસીઓમાં પ્રજાસત્તાક દિવસને લઈ જાગૃતતા આવે સાથે સાથે લોકો ઘરે ઘરે તિરંગો લહેરાવી આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે તેના માટે આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.