ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવે ચીની જાસૂસી જહાજને પ્રવેશવાની મંજૂરી

બીજીંગ, ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવે ફરી એકવાર પીઠમાં છુરા મારવાનું કૃત્ય કર્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પોતાના શ્રેષ્ઠ મિત્ર ગણાવનાર મોહમ્મદ મુઈઝુએ ભારત વિરુદ્ધ એક નવું ષડયંત્ર રચ્યું છે. તેઓએ ચીનના જાસૂસી જહાજને તેમના વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી. ભારત સાથેના વણસેલા સંબંધો વચ્ચે માલદીવે ચીની જહાજ માલે આવવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે મિત્ર દેશોના જહાજોનું સ્વાગત છે. ચીનનું જહાજ થોડા અઠવાડિયામાં માલદીવ પહોંચે તેવી શક્યતા છે. આનાથી ભારતની ચિંતા વધી ગઈ છે.ભારતની ચિંતા પણ ગંભીર છે કારણ કે ગયા વર્ષે જ્યારે ચીને પોતાના જાસૂસી જહાજને શ્રીલંકાની ધરતી પર ઉતાર્યું ત્યારે ઘણો હંગામો થયો હતો.

માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદથી મોહમ્મદ મુઈઝ દ્વારા લેવામાં આવેલા પગલા ભારત વિરુદ્ધ છે. માલદીવના વડા બનતા પહેલા તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય સેનાની ટીકા કરી હતી અને જો તેઓ જીતશે તો ભારતીય સેનાને દેશમાંથી હાંકી કાઢવાનું વચન પણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ બન્યા પછી મુઈઝુએ પણ એવું જ કર્યું. મુઈઝુ સરકારે ભારતને સેના પાછી ખેંચવા માટે ૧૫ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. એટલું જ નહીં માલદીવની પરંપરા તોડીને માલદીવના રાષ્ટ્રપતિએ ભારત જવાને બદલે ચીનની મુલાકાત લીધી. આ મહિને, મુઇઝુ શી જિનપિંગને મળ્યા, આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત પણ હતી.

સ્વતંત્ર ગુપ્તચર સંશોધક અને ઓપન સોર્સ ડેટા અનુસાર ચીનનું જાસૂસી જહાજ ટૂંક સમયમાં માલદીવ પહોંચે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ચીનનું એક જાસૂસી જહાજ શ્રીલંકાની ધરતી પર ઉતર્યું હતું, ત્યારબાદ ચીનના જહાજ પર ભારતની જાસૂસી કરવાનો આરોપ પણ લાગ્યો હતો. આ વખતે ચીને માલદીવની મદદથી ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.