મહેન્દ્ર સિંહ ધોની સામે છેતરપિંડીનો કેસ નોંધાયો, ૧૭ કરોડ રૂપિયાની ગેરરીતિનો મામલો

મુંબઇ, એમએસ ધોની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ તેમની સામે માનહાનિનો છે, જે તેમના મિત્ર અને ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકરે કર્યો છે. હવે આ કેસની સુનાવણી ૧૮ જાન્યુઆરીએ છે. વાસ્તવમાં ધોનીએ પહેલા નોટિસ મોકલી હતી, જે બાદ વિવાદ વધતા હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ધોની માટેના એક્શન પર મિહિર અને સૌમ્યાની આ પ્રતિક્રિયા છે, જે કરોડો રૂપિયાની ડીલમાં છેતરપિંડી સાથે સંબંધિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આખો મામલો લગભગ ૧૬ થી ૧૭ કરોડ રૂપિયાની ગેરરીતિ સાથે જોડાયેલો છે.

મિહિર અને સૌમ્યા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં તેઓએ પહેલા તેમની સામે ધોનીએ કરેલ કેસ પર સ્ટે મૂકવાની માંગ કરી છે. વાસ્તવમાં ધોનીએ મિહિર અને સૌમ્યા પર ૨૦૧૭માં થયેલા કરારના કથિત ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. ધોનીએ તે કરાર આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથે કર્યો હતો, જે મિહિર અને સૌમ્યાની કંપની હતી.

ધોનીએ દાખલ કરેલ કેસમાં ૧૬ થી ૧૭ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ધોનીએ કહ્યું હતું કે તેમની વચ્ચેના કરારમાં ક્રિકેટ એકેડમીની સ્થાપનાનો કરાર હતો, જે પૂર્ણ થયો ન હતો.

જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર, ધોનીએ આ અંગે પહેલા મિહિર અને સૌમ્યાને નોટિસ મોકલી હતી. પરંતુ, તેમના તરફથી કોઈ જવાબ ન મળતા ધોનીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તમને જણાવી દઈએ કે ધોની અને મિહિર લાંબા સમયથી સારા મિત્રો છે. આ મિત્રતા ક્રિકેટના કારણે થઈ હતી. અને આ જ કારણ હતું કે બંનેએ સાથે મળીને ક્રિકેટ એકેડમી ખોલવાનો નિર્ણય લીધો હતો. આનો અમલ કરવા માટે બંને વચ્ચે સમજૂતી થઈ હતી. પરંતુ, પછી તેમની વચ્ચે વિવાદ વધતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.