આવતી કાલે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જીલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

ગોધરા, અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જે અંતર્ગત પંચમહાલ જીલ્લામાં આવતીકાલે તારીખ 18.01.2024ના રોજ સવારે 10 વાગ્યે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા સુત્રને સાર્થક કરતા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. સદર કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જીલ્લા કલેકટર આશિષ કુમાર, જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ જોડાશે.

ઉલ્લેખનીય છે કે, જીલ્લામાં ધાર્મિક સ્થળોના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આગામી તા.22 જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે.