અરૂણાચલ પ્રદેશ ખાતે CRPF માં ફરજ બજાવતા જવાનનું નિધન પોતાના વતન કેણપુર ખાતે જવાનના પાર્થિવ દેહને અંતિમ વિધિ કરાઈ

સંતરામપુર, મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામના વતની પ્રેમચંદભાઈ પલાસ નામના જવાન અરૂણાચલ પ્રદેશ ખાતે CRPFમાં ફરજ બજાવતા હતા જેઓ શહીદ થયા છે. જેમના પાર્થિવ દેહને આજે પોતાના વતન ખાતે લાવીને અંતિમક્રિયા કરવામાં આવી હતી. જેમાં વિસ્તારના અધિકારી નેતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રાપ્ત થતી પ્રાથમિક વિગત અનુસાર પ્રેમચંદભાઈ છૂટ્ટીમાં પોતાના ઘરે આવ્યા હતા અને રજાઓ પુરી કરી પોતાની ફરજ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉત્તર પ્રદેશના ચાંદોલી ખાતે તેઓનું આકસ્મિક મૃત્યુ નીપજ્યું છે. તેમના પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ તેમના પર અરૂણાચલ પ્રદેશ ક્ધટ્રોલ માંથી 14 જાન્યુઆરીના રોજ સાંજે કોલ આવ્યો હતો અને તેમના નિધન વિશે માહિતી મળી હતી. ત્યાર બાદ આજે તેમના પાર્થિવ દેહને તેમના વતન સંતરામપુર કેણપુર ખાતે લાવવામાં આવ્યો છે અને ગાર્ડ ઓફ ઑનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જવાન પ્રેમચંદભાઈને નિવૃત્તિમાં હવે માત્ર ચાર જ મહિના બાકી હતા. ત્યારે આવો બનાવ બનતા તેમના ગામ સહિત સમગ્ર પંથકનું વાતાવરણ શોખમય બન્યું છે.

કેણપુર ગામે જવાનનો મૃતદેહ આવતા જ મોટી સંખ્યામાં અંતિમ વિધિ માટે લોકો જોડાયા હતા. તેમજ સ્થાનિક અધિકારી, કર્મચારીઓ, નેતાઓ અને સેના માંથી આવેલા જવાનો જોડાયા હતા અને દેશ ભક્તિના નારાઓ સાથે તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી.