વડોદરાના પીપરી ગામે મંદિરના જમીન વિવાદમાં જૂથ અથડામણ, ૪ ઇજાગ્રસ્ત

વડોદરા, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પીપરી ગામે મંદિરની જમીન મુદ્દે મારામારી થઇ છે.જમીન વિવાદમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. જમીનનો વિવાદ વકરતા બે જૂથ આમને સામને આવી ગયા હતા. પથ્થરમારાની ઘટનામાં ૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

વડોદરાના પાદરા તાલુકામાં પીપરી ગામ આવેલુ છે, જેમાં મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યુ છે. જેની પાછળની જગ્યામાં આવેલી જમીનને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.તેને લઇને એક જ કોમના બે જૂથ સામ સામે આવી ગયા હતા.આજે સવારે થયેલા જૂથ અથડામણમાં ૪થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પછી ગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.સમગ્ર મામલાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

જમીન વિવાદને લઇને વહેલી સવારે પીપરી ગામના બે જૂથ સામ સામે આવી ગયા હતા.જમીનનો વિવાદ વકરતા આમને સામને પથ્થરમારો થયો હોવાની પણ માહિતી મળી રહી છે. પથ્થરમારાની ઘટનામાં ૪ લોકોને ઇજા પહોંચી છે.જેમને ૧૦૮ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તપાસ શરુ કરી હતી.આજે આ પથ્થરમારો કયા કારણોસર થયો અને સમગ્ર મામલો શું છે તે મામલે પોલીસે તપાસ શરુ કરી છે.સાથે જ પથ્થરમારો કરનારાને પકડવા માટેની તજવીજ પણ શરુ કરવામાં આવી છે.