સાંસદની અધ્યક્ષતામાં વખતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા : જનવટીયા મહાદેવ ખાતે મંદિર સ્વચ્છતા અભિયાન

લુણાવાડા, વિકસિત રાષ્ટ્રના નિર્માણ તરફ અગ્રેસર થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં રથ ઇન્ચાર્જ મુળજીભાઈ રાણાની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના વખતપુર ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર વધાવ્યો હતો.

કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પૂર્ણાશક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના સ્થાનિક મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના સરકારી યોજનાઓના લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ આંગણવાડી, આરોગ્ય વિભાગ દ્વારા આયોજીત નિ:શુલ્ક કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. શાળાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર તેમજ વિવિધ વિભાગના લાભાર્થીઓને સાંસદ સહીત મહાનુભાવોના હસ્તે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો-ઉપલબ્ધીઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામુહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ, તાલુકા મહામંત્રી હિંમતસિંહ, અગ્રણીઓ ભલાભાઈ, ગોરધનભાઈ, ભારતસિંહ, સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, તલાટી, દૂધમંડળી ચેરમેન, સહીત ગામના અગ્રણીઓ, આસપાસની ગ્રામ પંચાયતના સરપંચો, અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ બાદ સાંસદે પ્રધાનમંત્રીની પ્રેરણાથી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સુધી મંદિર સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેયડી વખતપુર ગામના જનવટીયા મહાદેવ ખાતે સફાઈ કરી હતી જેમાં આગેવાનો જોડાયા હતા.