ફિલ્મ ’અન્નપૂર્ણિ’ની અભિનેત્રી,નર્માતા-નિર્દેશક,નયનતારાની સામે એફઆઇઆર

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર બતાવવામાં આવી રહેલી ફિલ્મ ‘અન્નપૂરાણી’ પર ભગવાન શ્રી રામનું અપમાન કરવાનો અને હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. મધ્યપ્રદેશના જબલપુરમાં ધાર્મિક લાગણીઓને દુભાવવા બદલ હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને મુખ્ય અભિનેત્રી નયનતારા સહિત સમગ્ર સ્ટાર કાસ્ટ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાણીએ કહ્યું કે અન્નપૂર્ણિ ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે જે હિંદુ ધર્મના પૂજ્ય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું અપમાન કરે છે. ફિલ્મમાં ભગવાન શ્રી રામ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. જેસવાણીના મતે ફિલ્મમાં લવ જેહાદ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના કલાકાર દ્વારા એવું પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન પ્રાણીઓની હત્યા કરતા હતા અને માંસ ખાતા હતા.

હિંદુ સેવા પરિષદે ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ને હિંદુ વિરોધી ગણાવીને જબલપુરના ઓમતી પોલીસ સ્ટેશનમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પોલીસે નીલેશ ક્રિષ્ના (નિર્દેશક), નયનતારા (કલાકાર), જતિન સેઠી (નિર્માતા), આર રવિન્દ્રન (નિર્માતા), પુનિત ગોઇકા (નિર્માતા), સારિક પટેલ અને મોનિકા શેરગિલ વિરુદ્ધ કલમ ૧૫૩ અને ૩૪ આઈપીસી હેઠળ કેસ નોંધ્યો છે.

ફિલ્મના આ દ્રશ્યો વિરુદ્ધ નોંધવામાં આવી એફઆઈઆર :

૧. ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં, બિરયાની બનાવતા પહેલા, મંદિરના પૂજારીની પુત્રી હિજાબ પહેરીને નમાઝ અદા કરતી બતાવવામાં આવી છે.

૨. આરોપ છે કે અભિનેતાના મિત્ર ફરહાને અભિનેત્રીનું બ્રેઈનવોશ કર્યું અને તેની પાસે માંસ કપાવ્યું, કારણ કે તેનું કહેવું છે કે ભગવાન શ્રી રામ અને માતા સીતાએ પણ માંસ ખાધું હતું.

૩. ફિલ્મમાં અભિનેત્રી મંદિર જવાને બદલે રમઝાન ઈફ્તાર માટે ફરહાનના ઘરે જાય છે. ફિલ્મમાં છોકરીના પિતા સંધ્યા આરતી કરી રહ્યા છે અને દાદીમા માળા સાથે મંત્રોચ્ચાર કરી રહ્યા છે પરંતુ તેમની પુત્રી માંસ ખાતી અને ખવડાવતી હોવાના દ્રશ્યો એકબીજા સાથે જોડાયેલા બતાવાયા છે.

૪. અભિનેત્રીના પિતા મંદિરના મુખ્ય પૂજારી છે. તે સાત પેઢીઓથી ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરી રહ્યા છે, પરંતુ તેની પુત્રીને મરઘીનું માંસ બનાવતી બતાવવામાં આવી છે.

૫. હિન્દુ ધર્મગુરુની પુત્રી એક મુસ્લિમ છોકરાના પ્રેમમાં પડે છે, જે રમઝાન ઈફ્તાર માટે જતી બતાવવામાં આવે છે. હિન્દુ યુવતીને નમાઝ અદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા આવતી હોય તેમ પણ બતાવાયું છે.

૬. ફિલ્મમાં ફરહાન નામના કલાકારે કહ્યું છે કે ભગવાન શ્રી રામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ, શિવ અને ભગવાન મુરુગન પણ પ્રાણીઓની હત્યા કરતા હતા અને તેમને રાંધ્યા પછી માંસ ખાતા હતા.

૭. આરોપ છે કે આ ફિલ્મમાં એક બ્રાહ્મણ હિંદુ છોકરીને મુસ્લિમ ધર્મ તરફ પ્રેરિત કરવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથો જેમ કે રામાયણ, પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોનું ખોટા તથ્યો સાથે ખોટું અર્થઘટન કરીને ભગવાનનું અપમાન કરાયું છે.