પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ભાજપ શાસિત રાજ્યો કરતાં ઘણી સારી છે,ટીએમસીના પ્રવક્તા

  • કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પશ્ર્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા.

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ઈડી ટીમ પર થયેલા હાલના હુમલા બાદ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું- પશ્ચિમ બંગાળમાં જંગલરાજ ચાલી રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં આખો દેશ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે, પરંતુ ટીએમસી સરકારના કારણે પશ્ચિમ બંગાળ ઉલટી દિશામાં જઈ રહ્યું છે.

સોનોવાલના નિવેદન પર ટીએમસીએ વળતો પ્રહાર કર્યો. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે પશ્ર્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ભાજપ શાસિત રાજ્યો કરતાં ઘણી સારી છે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર કોલકાતા દેશનું સૌથી સુરક્ષિત શહેર છે. કોવિડ દરમિયાન રાશન કૌભાંડના કિસ્સામાં, ઈડીની ટીમ ૫ જાન્યુઆરીએ ટીએમસી નેતાઓના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન તેમના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો. ઈડીના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઈડીએ રાશન કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલી ગામમાં એક ટીમ શેખ શાહજહાં અને શંકર અયાના ઘરે જઈ રહી હતી. આ બંને કૌભાંડના આરોપી અને પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિક (બાલુ)ના નજીકના છે. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ ઈડી ટીમને ઘેરી લીધી અને હુમલો કર્યો. આ મામલાને લઈને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મામલે સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઈડીએ જણાવ્યું હતું કે શાહજહાંના ઘરનું તાળું તોડવામાં આવી રહ્યું હતું ત્યારે ટોળાએ હુમલો કર્યો હતો. આ પહેલા પણ શાહજહાંને અનેક વખત ફોન કરીને બોલાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તે આવ્યા નહોતો. જિલ્લાના એસપી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પણ વાત કરી ન હતી.

આ ઘટના બાદ ભાજપે સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરવામાં આવી હતી. બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ ED ટીમ પર હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે – રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે. આ હુમલો દર્શાવે છે કે રોહિંગ્યાઓ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે શું કરી રહ્યા છે. અમે ગૃહમંત્રી અમિત શાહને આ ઘટનાની એનઆઇએ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે.

કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમાણિકે કહ્યું- રાજ્યમાં કેન્દ્રીય એજન્સી પર હુમલાથી વધુ અપમાનજનક કંઈ ન હોઈ શકે. આ માત્ર ટીમ પર હુમલો નથી, પરંતુ દેશના સમગ્ર બંધારણ અને સંઘીય માળખા પર હુમલો છે. પશ્ર્ચિમ બંગાળમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. આવું કેમ થઈ રહ્યું છે તેની અમે તપાસ કરીશું.ઈડી પરના હુમલા અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, શાસક સરકારના ગુંડાઓ દ્વારા ઈડીના અધિકારીઓ પર હુમલા બાદ સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. આજે તેઓ ઘાયલ થયા છે, કાલે તેમની હત્યા થઈ શકે છે. જો આવું થાય તો તે મારા માટે આશ્ર્ચર્યજનકની વાત નથી. હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. ફરિયાદ મળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.