તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ ઉત્સાહમાં: રાજ્યની ૧૭ લોક્સભા બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૨ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું

  • શહીદોના પરિવારોની ઓળખ કરવામાં આવશે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે,મુખ્યમંત્રી અનુમુલા રેવંથ રેડ્ડી.

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી અનુમુલા રેવંથ રેડ્ડીએ કોંગ્રેસના નેતાઓને લોક્સભા ચૂંટણી માટે મોટું લક્ષ્ય નક્કી કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પાર્ટીના નેતાઓએ થોડા મહિના પછી યોજાનારી લોક્સભાની ચૂંટણી માટે સખત મહેનત કરવી જોઈએ. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે આ વખતે પાર્ટીના નેતાઓએ રાજ્યની ૧૭ લોક્સભા બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૨ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે રેવન્ત રેડ્ડી મુખ્યમંત્રી હોવાની સાથે તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. તેમણે નેતાઓને એ સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરવા કહ્યું કે પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં મળેલા કરતાં વધુ મતો મળે.

રેડ્ડીએ લોક્સભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે ૫ જિલ્લાના પ્રભારી મંત્રીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આદિલાબાદ, નિઝામાબાદ, મેડક, મહબૂબનગર અને હૈદરાબાદ જિલ્લાના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ નેતાઓને કહ્યું કે તેઓ ૨૬ જાન્યુઆરી પછી જિલ્લાઓની મુલાકાત લેવાનું શરૂ કરશે. પ્રથમ રેલી આદિલાબાદ જિલ્લાના ઈન્દ્રવેલીમાં યોજાશે. રેડ્ડીએ યાદ અપાવ્યું કે રાજ્ય પ્રમુખ પદ સંભાળ્યા બાદ તેમણે ઈન્દ્રવેલીમાં જ પ્રથમ રેલીને સંબોધિત કરી હતી. તેમણે આદિલાબાદના કોંગ્રેસી નેતાઓને ઈન્દ્રવેલીમાં શહીદ સ્મારક ખાતે મેમોરિયલ પાર્કનો શિલાન્યાસ કરવાની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું.

રેડ્ડીએ વચન આપ્યું હતું કે શહીદોના પરિવારોની ઓળખ કરવામાં આવશે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે વિધાનસભા ક્ષેત્રોના વિકાસની જવાબદારી જિલ્લાઓના પ્રભારી મંત્રીઓની રહેશે. મુખ્યમંત્રીએ પક્ષના નેતાઓને કલ્યાણ અને વિકાસ કાર્યોમાં જોડાયેલા રહેવા જણાવ્યું હતું. રેડ્ડીએ કહ્યું કે તેઓ અગાઉના મુખ્ય પ્રધાનો જેવા નથી અને તેઓ ૨૬ જાન્યુઆરી પછી ધારાસભ્યોને ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ રાજ્ય સચિવાલયમાં અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે ૪ થી ૬ દરમિયાન ધારાસભ્યોને મળશે. તમને જણાવી દઈએ કે રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિધાનસભા ચૂંટણી જીતી હતી.