પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો હુમલો, બ્લાસ્ટમાં પાંચ પોલીસકર્મીઓના મોત,

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત થઈ ગયા છે. આ બ્લાસ્ટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો પોલીસ પ્રોટેક્શન ટીમને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે બાજૌર જિલ્લામાં એન્ટી પોલિયો અભિયાનમાં ફરજ પરની પોલીસ ટીમને ટ્રકમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન IED બ્લાસ્ટમાં પાંચ પોલીસકર્મીઓના મોત થયા છે. ઘાયલોને બાજૌર જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે.

જે જગ્યાએ પોલીસ ટીમને નિશાન બનાવવામાં આવી હતી તે બાજૌરનો મામુંદ વિસ્તાર છે અને આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલો છે. વર્ષ 2021માં જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું છે ત્યારથી પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સાથેની આ સરહદ પર હુમલા વધી ગયા છે. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને નથી લધી પરંતુ આ પહેલા પણ પોલિયો વેક્સિનેશન અભિયાન પર પાકિસ્તાન તાલિબાને અનેક હુમલા કર્યા છે. આવી સ્થિતિમાં તાજેતરના મામલે પણ પાકિસ્તાન તાલિબાનની સંડોવણીને નકારી ન શકાય.

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં રવિવારે પણ એક આતંકવાદી હુમલામાં 4 લોકોના મોત થઈ ગયા હતા. અજ્ઞાત બંદૂકધારીઓએ બે વાહનો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.