ઓડિશાના ચિલ્કા તળાવમાં ૨ કલાક ફસાયા પુરૂષોત્તમ રૂપાલા, બીજી હોડીથી બહાર લવાયા

ઓડિશાના ચિલ્કા તળાવમાં ગઈકાલ રવિવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈને જઈ રહેલી બોટ લગભગ બે કલાક સુધી પાણીમાં ફસાઈ ગઈ હતી. એક અધિકારીને ટાંકિને રજૂ કરાયેલા મીડિયા રિપોર્ટ અનુસાર શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે માછીમારોએ માછલી પકડવા માટે નાખેલી જાળના કારણે બોટ ફસાઈ ગઈ હતી. પરંતુ બાદમાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની બોટ રસ્તો ભટકી ગઈ હતી.

બોટમાં ગયેલા કેન્દ્રીય પ્રધાન તળાવમાં ફસાઈ ગયા હોવાનો મામલો પ્રકાશમાં આવતાં જ વહીવટીતંત્રે બીજી બોટ મોકલી હતી. જેના વડે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોત્તમ રૂપાલાને બહાર કાઢીને તેમના નિર્ધારિત સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને ફક્ષના અન્ય કેટલાક સ્થાનિક નેતાઓ પણ રૂપાલાની સાથે બોટ પર હાજર હતા. આ ઘટના ત્યારે બની જ્યારે મંત્રીએ ખુર્દા જિલ્લાના બરકુલથી તેમની યાત્રા શરૂ કરી અને બ્લુ લગૂન દ્વારા પુરી જિલ્લાના સાતપારા જઈ રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીના કાફલાના ફરજ પર તૈનાત એક સુરક્ષા અધિકારીને ટાંકિને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મોટરવાળી બોટ નલબાના પક્ષી અભયારણ્ય પાસે તળાવની વચ્ચોવચ્ચ લગભગ બે કલાક સુધી અટવાઈ રહી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું, ‘અંધારું હતું અને બોટ ચલાવતા નાવિકને પણ માર્ગની જાણ નહોતી. તેથી અમે અમારો રસ્તો ભટકી ગયા હતા. અમને સતપારા પહોંચવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.’ વહીવટીતંત્રે તરત જ સતપારાથી બીજી બોટ મોકલી જેમાં મંત્રી અને તેમના સાથીદારો તેમના પૂર્વ નિર્ધારિત સ્થાને પહોંચવા માટે બેઠા હતા.

પુરૂષોત્તમ રૂપાલા પુરી જિલ્લાના કૃષ્ણપ્રસાદ વિસ્તાર પાસે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જો કે, એ કાર્યક્રમ છેલ્લી ક્ષણે રદ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે રૂપાલા લગભગ 10.30 વાગ્યે પુરી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના 11મા તબક્કા હેઠળ માછીમારો સાથે વાતચીત કરવા ઓડિશાની મુલાકાતે છે. અગાઉના દિવસે, તેમણે ગંજમ જિલ્લાના ગોપાલપુર બંદર પર કાર્યક્રમની શરૂઆત કરી હતી.