મેં આશા ગુમાવી દીધી છે, મને જેલમાં મરવા દો… :જેટ એરવેઝના માલિક નરેશ ગોયલ

મુંબઈ, એક સમયે કરોડોના માલિક નરેશ ગોયલ આજે મરવાની ભીખ માંગી રહ્યા છે. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે કોર્ટની સામે આંસુથી પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેણે બધી આશા ગુમાવી દીધી છે. ૫૩૮ કરોડની છેતરપિંડી કેસમાં મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં હાજર થયેલા નરેશ ગોયલ ભાવુક થઈ ગયા અને જજની સામે રડવા લાગ્યા. જજની સામે હાથ જોડીને તેણે કહ્યું કે મેં જીવનની દરેક આશા ગુમાવી દીધી છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હું જીવવા કરતાં જેલમાં મરવું પસંદ કરીશ.

નાદાર એરલાઇન જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ રૂ. ૫૩૮ કરોડના બેંક ફ્રોડ કેસમાં ફસાયા છે. આ કેસમાં EDએ ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદથી તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. ઇડીએ તેની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કેસમાં કાર્યવાહી કરી હતી અને તેની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, ત્યારબાદ તે જેલમાં છે.

૭૦ વર્ષના નરેશ ગોયલ કોર્ટની સામે લાચાર થઈને રડવા લાગ્યા. તેણે કહ્યું કે તે તેની પત્ની અનિટોને ખૂબ મિસ કરી રહ્યો છે. તેમની પત્ની કેન્સરના એડવાન્સ સ્ટેજમાં છે. તે કોર્ટની સામે રડ્યો અને કહ્યું કે તેની સંભાળ રાખનાર કોઈ નથી. તેમની પુત્રી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. પોતાની તબિયતનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે મારા ઘૂંટણમાં સોજો આવી ગયો છે અને ખૂબ દુખાવો થાય છે.

નરેશ ગોયલે ન્યાયાધીશની સામે કહ્યું કે જેલમાં તેમની તબિયત ખરાબ છે. હું ખૂબ જ કમજોર થઈ ગયો છું અને ઊભા રહેવું પણ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે જેજેને હોસ્પિટલમાં મોકલવાનો કોઈ ફાયદો નથી. આર્થર રોડ જેલથી જેજે હોસ્પિટલ સુધીની સફર તેના માટે ખૂબ જ દર્દનાક છે.તેમણે ન્યાયાધીશને કહ્યું કે તેને હોસ્પિટલમાં મોકલવાના બદલે જેલમાં જ મરવા દો. કોર્ટની સુનાવણીના રેકોર્ડ્સ અનુસાર, જ્યારે ગોયલ જજની સામે હાથ જોડીને બોલી રહ્યા હતા, ત્યારે તેમનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેણે કોર્ટને અપીલ કરી હતી કે તેને સુનાવણી માટે બોલાવવામાં ન આવે. નરેશ ગોયલની હાલત જોઈને કોર્ટે તેમને આશ્વાસન આપ્યું કે તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

નરેશ ગોયલ અને તેમની પત્નીએ મળીને વર્ષ ૧૯૯૩માં જેટ એરવેઝની સ્થાપના કરી હતી, પરંતુ વર્ષ ૨૦૧૯માં લોનની ચુકવણી ન થવાને કારણે એપ્રિલ ૨૦૧૯માં જેટ એરવેઝની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. ફોર્બ્સ અનુસાર, ૨૦૧૨ સુધીમાં, નરેશ ગોયલની સંપત્તિ ઇં૧.૯ બિલિયન હતી. તેઓ ભારતના ૧૬મા સૌથી અમીર વ્યક્તિ હતા, પરંતુ એક ભૂલે બધું બરબાદ કરી દીધું.