9 મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

  • આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટરએ વિવિધ વિભાગના અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા

આગામી તા.9મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જીલ્લામાં દાહોદ, ગરબાડા , ઝાલોદ, ફતેપુરા અને લીમખેડા વિધાનસભા વિસ્તાર મુજબ ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ 9 મી, ઓગષ્ટના દિવસે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જીલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને દાહોદ જીલ્લામાં તા. 9 મી ઓગષ્ટ, વિશ્ર્વ આદિવાસી દિવસ-2024 નો કાર્યક્રમ યોજાનાર છે.

કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત વિભાગોને “વિશ્ર્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પદાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું.

આ બેઠકમાં જીલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટ દાર સ્મિત લોઢા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી સર્વઓ, નાયબ પોલીસ અધિક્ષકઓ સહિત વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.