૮૫ ટકા હિંદુઓને ૧૫ ટકાનો ડર બતાવે છે : બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ

  • યાદવે બેરોજગારી અને ગરીબી પર પણ ભાજપ સામે આકરાં પ્રહારો કર્યા.

પટણા,બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બિહાર વિધાનસભામાં ભાજપ પર આકરાં પ્રહારો કર્યા હતા.તેજસ્વી યાદવે વિપક્ષી પાર્ટી પર રાજનીતિક લાભ માટે હિંદુઓના મનમાં ડર પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી વિધાનસભામાં આરોગ્ય વિભાગ માટે ફાળવેલા બજેટ પર ચર્ચા કરી રહ્યા હતા. વિધાનસભામાં તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપની વાતોમાં વિરોધાભાસ હોય છે.ભાજપ કયારેય મુદ્દાઓ પર વાત કરતી નથી. દેશમાં ૮૫ ટકા હિંદુઓ છે છતા ભાજપ ૧૫ ટકાનો ડર બતાની હિંદુઓને ભયભીત કરી રહી છે.

બિહાર વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બેરોજગારી અને ગરીબી પર પણ ભાજપ સામે આકરાં પ્રહારો કર્યા હતા. તેજસ્વીએ કહ્યું કે, દેશમાં જેમની પાસે રોજગારી નથી તે લોકો હિંદુ બનીને ખુશ છે. જેમની પાસે કામ નથી તેવા લોકો ૫ કિલો રાશન મેળવીને ખુશ છે. જેમની પાસે નોકરી, કમાણી, ભણતર કે દવા નથી એવા લોકો ભાજપના શાસનમાં માત્ર જીવતા રહીને ખુશ છે. વિરોધાભાસ એ વાતનો છે કે ૮૫ ટકા હિંદુઓને ૧૫ ટકાનો ડર બતાવવામાં આવી રહ્યો છે. જયારે સૌથી વધારે ગરીબ અને બેરોજગાર તો હિંદુઓ છે.

તેજસ્વી યાદવે કહ્યુ કે, ભાજપ નેતાઓ જેટલું જોયું, જેટલું સાંભળ્યું તેનાથી વધારે ઓછું સમજયું અને તેને જ સાચી માની લીધું. તેમણે કહ્યુ કે, ભાજપ આ જ કામ કરી રહી છે. જે સાચું હોય તેની પર વાત નહીં કરશે, ભ્રમ, ફરેબ અને જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

બિહાર વિધાનસભામાં બજેટની ચર્ચા વખતે ભારે હંગામો મચી ગયો હતો અને ભાજપે ગૃહમાંથી વોક આઉટ કરી દીધો હતો. વિપક્ષની ગેરહાજરીમાં જ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાનું બજેટ ભાષણ વાંચી નાંખ્યું હતું. તેજસ્વી યાદવે ૨૦ મિનિટ સુધી ગૃહમાં પોતાની વાત રાખી અને આ દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, મને અપેક્ષા હતી કે વિપક્ષના નેતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ગૃહમાં હાજર રહેશે પરંતુ તેમણે વોકઆઉટ કરવાનું યોગ્ય માન્યું.

તેજસ્વી યાદવની વાત પર બિહાર વિધાનસભાના વિપક્ષ નેતા વિજય કુમાર સિંહાએ પલટવાર કરતા કહ્યુ હતું કે, અમે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેની પર સરકારે યાન આપ્યું નથી. એટલે અમે વિધાનસભામાંથી વોક આઉટ કર્યો છે. સિંહાએ કહ્યું કે અમે જે મુદ્દા ઉઠાવ્યા હતા તેમાં નાયબ મુખ્યમંત્રીની ભ્રષ્ટાચારમાં સંડોવણી, સરકારના એક મંત્રી હત્યામાં આરોપી જેવા મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ સરકાર મુદ્દા સાંભળવા નહોતી માંગતી.