
વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક કથિત ધર્મગુરુની સગીર બાળકીનું યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે પીડિતાને આશ્રમમાં બંધક બનાવીને બે વર્ષથી વધુ સમય સુધી તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આંધ્રપ્રદેશ પોલીસે વિશાખાપટ્ટનમ આશ્રમના સંચાલકની સગીર બાળકી સાથે યૌન શોષણના આરોપમાં ધરપકડ કરી છે. સંચાલક પર તેના આશ્રમમાં એક સગીર છોકરીનું બે વર્ષથી વધુ સમય સુધી યૌન શોષણ કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, ૧૫ વર્ષની અનાથ પીડિતાની ફરિયાદ બાદ ૬૩ વર્ષીય સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી ઉર્ફે સ્વામી પ્રેમાનંદની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે તેણે પીડિતાને બે વર્ષથી વધુ સમય સુધી સ્વામી જ્ઞાનાનંદ આશ્રમ વેંકોજીપાલેમમાં બંદી બનાવીને તેનું યૌન શોષણ કર્યું હતું.
જણાવી દઈએ કે, રાજમહેન્દ્રવરમમાં રહેતી છોકરીએ નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના સંબંધીઓએ તેમને ગરીબ બાળકો માટેના આશ્રમમાં મોકલી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સ્વામી દરરોજ રાત્રે તેને પોતાના બેડરૂમમાં લઈ જતા હતા અને રેપ કરતા હતા. છેલ્લા એક વર્ષથી પીડિતા બેડરૂમમાં સાંકળોથી બંધાયેલી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે તેને માત્ર બે ચમચી ખાવાનું આપવામાં આવતું હતું અને અઠવાડિયામાં માત્ર એક જ વાર નહાવાની છૂટ હતી.
એવું જાણવા મળ્યું છે કે પીડિતા ૧૩ જૂને ઘરેલુ નોકરની મદદથી આશ્રમમાંથી ભાગી ગઈ હતી. પીડિતાએ ટ્રેનમાં બેઠેલી મહિલા મુસાફરને પોતાની ઘટના સંભળાવી હતી, ત્યારબાદ પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ, પીડિતાને બાળ કલ્યાણ સમિતિમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીએ વર્ણવ્યું હતું કે કેવી રીતે સ્વામીએ આશ્રમમાં તેનું જાતીય અને શારીરિક શોષણ કર્યું હતું.
ફરિયાદ સાંભળ્યા પછી, CWC સભ્યોએ છોકરીને ડીસા પોલીસ સ્ટેશન મોકલી જ્યાં સ્વામી પૂર્ણાનંદ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો. હાલમાં પીડિતાને મેડિકલ તપાસ માટે વિજયવાડા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. બીજી તરફ પોતાના બચાવમાં આરોપી ધાર્મિક નેતાએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો આશ્રમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ આરોપ આ ષડયંત્રનો એક ભાગ છે.૧૫ જૂને આશ્રમના સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આશ્રમમાંથી એક છોકરી ગુમ થઈ ગઈ છે. આ પહેલીવાર નથી જ્યારે સ્વામી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હોય. તેના પર ૨૦૧૨માં આશ્રમમાં એક સગીર છોકરીનું યૌન શોષણ કરવાનો પણ આરોપ હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ’ધર્મગુરૂ’ને પાછળથી જામીન પર છોડવામાં આવ્યા હતા.