
- આગામી ૪૮ કલાકમાં ઓછા વાયુ દબાણનું ક્ષેત્ર વિકસિત થવાની શક્યતા છે.
નવીદિલ્હી,ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)એ ચક્રવાતી તોફાનને લઈને નવી અપડેટ આપી છે. આઇએમડીએે કહ્યું કે ૬ મેની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીની ઉપર એક ચક્રવાત બનાવાથી અને તેના પરિણામે આગામી ૪૮ કલાકમાં ઓછા વાયુ દબાણનું ક્ષેત્ર વિકસિત થવાની શક્યતા છે. વર્ષ ૨૦૨૩ના પહેલા ચક્રવાતી તોફાનના મે મહિનામાં આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આઇએમડી પ્રમાણે ૬ મેના રોજ બંગાળની ખાડી પર ચક્રવાત બનવાની શક્યતા છે. આને લઈને આઇએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, કેટલીક પ્રણાલીઓએ આના એક ચક્રવાત હોવાનું પૂર્વાનુમાન જણાવ્યું છે. અમે નજર રાખી રહ્યા છીએ. નિયમિત રીતે અપડેટ આપવામાં આવશે. તો પૂર્વાનુમાન બાદ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે.
હકિક્તે આંતરરાષ્ટ્રીય હવામાન વૈજ્ઞાનિકોએ મેના બીજા અઠવાડિયામાં ચક્રવાત તોફાનની શક્યતા દર્શાવી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ અઠવાડિયાના અંત સુધી દક્ષિણ બંગાળની ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓછા દબાણના ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેવાની શક્યતા પ્રબળ છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાંમાર સુધી રહેવાની શંકા છે.
જો અધિકારિક રીતે પુષ્ટિ કરવામાં આવે છે તો વિશ્ર્વ હવામાન વિજ્ઞાન સંગઠન અને એશિયા અને પ્રશાંત માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગના સભ્ય દેશો તરફથી સ્વીકારવામાં આવનારી નામકરણ પ્રણાલી હેઠળ ચક્રવાતનું નામ મોચા હશે. યમને લાલ સાગર તટ પર એક બંદરગાહ શહેર’ મોચા ‘નામે આ ચક્રવાતના નામની સલાહ આપી હતી. ચક્રવાતને લઈને IMDની ભવિષ્યવાણી બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહ્યું.