૪૮ વર્ષ પહેલા કોંગ્રેસે કર્યું પાપ, ઈમરજન્સી પર ધર્મેન્દ્ર પ્રધાનનો હુમલો

  • ઈન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિએ ૨૫ જૂને ઈમરજન્સી જાહેર કરી હતી.

નવીદિલ્હી, ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીને ૪૮ વર્ષ પૂર્ણ થયા છે. ભાજપે આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવ્યો. ૪૮ વર્ષ પહેલા ૨૫ જૂન ૧૯૭૫ થી ૨૧ માર્ચ ૧૯૭૭ દરમિયાન ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આ દિવસે બ્લેક ડેની ઉજવણી કરતી વખતે, ભાજપે ઘણા જિલ્લાઓ અને લોક્સભા મતવિસ્તારોમાં મોટા સંમેલનો યોજી અને કટોકટીના પીડિતોની દશા વર્ણવી હતી.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કટોકટી પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને તેના પર બંધારણીય અધિકારો તોડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એ પાર્ટી છે જેણે આઝાદી મળ્યા બાદ, બંધારણ અમલમાં આવ્યા બાદ, ૪૮ વર્ષ પહેલા તમામ બંધારણીય અધિકારો છીનવી લીધા હતા. પ્રધાને કહ્યું કે કોંગ્રેસે દેશમાં તબાહી મચાવવાનું પાપ કર્યું છે. આ દિવસને અમે લોકશાહીના કાળા દિવસ તરીકે ઉજવીએ છીએ.

આ સાથે તેમણે ફિલ્મ ‘આપાતકાલ કે સેનાની’ વિશે જણાવ્યું અને કહ્યું કે આવા ઘણા અસંખ્ય યોદ્ધાઓ હતા જેઓ લોકશાહીના મૂલ્યોની ખાતર કોંગ્રેસના ફાસીવાદ સામે લડ્યા હતા. ઈમરજન્સી એ ભારતની લોકશાહીનો સૌથી કાળો સમય હતો. મીડિયાને બંધ કરવામાં આવ્યું હતું, મૂળભૂત અધિકારો છીનવાઈ ગયા હતા, લોક્તાંત્રિક સંસ્થાઓને રબર સ્ટેમ્પમાં બદલી નાખવામાં આવી હતી.રવિવારે કાળા દિવસની ઉજવણી માટે ભાજપે દેશભરમાં સંમેલનોનું આયોજન કર્યું હતું. આ સાથે ભાજપે એ પણ જણાવ્યું કે આ પરિષદો શા માટે જરૂરી હતી. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે આજની યુવા પેઢીને ઈમરજન્સી વિશે વધારે જાણકારી નથી. આવી સ્થિતિમાં આ કોન્ફરન્સનો હેતુ યુવાનોને કોંગ્રેસ સરકારમાં થયેલી ‘લોકશાહીની હત્યા’ વિશે જણાવવાનો છે.

તમને જણાવી દઈએ કે, ૨૫ની રાત્રે ઈમરજન્સી લાગુ થતાની સાથે જ ઘણા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. શાળાઓને પણ જેલમાં ફેરવી દેવામાં આવી હતી. સમગ્ર દેશમાં અરાજક્તાનું વાતાવરણ હતું. આ જ કારણ છે કે કોંગ્રેસ હજુ પણ તેનો માર સહન કરી રહી છે. ઈન્દિરા ગાંધીના આ એક નિર્ણયને કારણે ૨૫ જૂનને ઈતિહાસનો સૌથી કાળો દિવસ કહેવામાં આવે છે. જે સમયે ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી તે સમયે ફખરુદ્દીન અલી અહેમદ દેશના રાષ્ટ્રપતિ હતા. તેમણે ઈન્દિરા ગાંધીના કહેવા પર જ બંધારણની કલમ ૩૫૨ હેઠળ દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી.