દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા કરૂણ મોત, જન્મદિનની ખુશી માતમમાં ફેરવાઇ

પાલનપુર, વાલીઓ સાવધાન. હાલ ગુજરાતના બનાસકાંઠાના દિયોદરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સૌ કોઇ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકનું કરૂણ મોત થયું છે, જી હા…જૈનીલ તન્ના નામના દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા શ્વાસ રૂંધાતા બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના દિયોદરમાં આવેલા ગોકુલનગરમાં દોઢ વર્ષના બાળકનું કરૂણ મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જૈનીલ તન્ના નામના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા બાળકનો શ્વાસ રૂધાતા મૃત્યુ થયું હોવાનું સાબિત થયું છે. બાળક રમતા રમતા દાડમનો દાણો ગળી ગયો હતો, જેના કારણે તેનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. આ બાળકને પહેલા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે મૃતક બાળકના પિતરાઈ ભાઈનો જન્મદિવસ હોઈ બાળક એકલો રમતો હતો, ત્યારે આ ઘટના બની હતી. દોઢ વર્ષનો જેનીલ પિતરાઈ ભાઈના બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં ત્યાં રહેલા પૌવામાં રહેલો દાડમનો દાણો ગળામાં ફસાઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.