રાજકોટ અગ્નિકાંડમાં SITનો રિપોર્ટ સરકારને સોંપાયો.

રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ થયેલા અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. આ સીટનો રિપોર્ટ આજે સરકારને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે. જો કે દરેક મોટી દુર્ઘટનાની જેમ આ દુર્ઘટનામાં પણ મોટી માછલીઓ બચી જશે અને નાની માછલીઓ ફસાઈ જાય એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં સોંપ્યો હતો. પરંતુ ફાઇનલ રિપોર્ટ સોંપવામાં 672 કલાક લાગ્યા છે. જો કે આમ છતાં મોટી માછલીઓ છટકી જવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે.

TRP ગેમ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર
અત્રે ઉલ્લેખનીય છે કે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.

ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથી
SITના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે 3 વર્ષથી ચાલતા ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથી. ગેમિંગ ઝોન માટે પાકું બાંધકામ થયાને 3 વર્ષ વીતી જવા છતાં એની સામે આંખ આડે કાન કરી લીધા હતા. રહેણાક હેતુ માટે ફાળવેલી જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હતી છતાં એને અટકાવવાના પ્રયત્નો થયા નથી. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદે બિલ્ડિંગને હંગામી બાંધકામની કેટેગરીમાં મૂકીને ગંભીર બેદરકારી દાખવી છે. એ સિવાય ફાયરના અધિકારીઓએ એકપણ વખત કોઇ મુલાકાત લીધી નથી અને નોંધ સુધ્ધાં લીધી નથી. ફાયર વિભાગના અધિકારીઓના બેજવાબદારીપણાને લીધે 27 લોકો મોતને ભેટ્યા છે.

માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરી નહોતી
SITએ તેના રિપોર્ટમાં મુખ્યત્વે 3 વિભાગને જવાબદાર ઠેરવીને તેમની કઇ બેદરકારી છે એ અંગે અલગ અલગ રિપોર્ટમાં રજૂઆત કરી હતી, જેમાં માર્ગ-મકાન વિભાગના અધિકારીઓએ ગેમિંગ ઝોન પર સ્થળ તપાસ જ નહીં કરી હોવાનું ચોંકાંવનારું તારણ રજૂ કર્યુ હતું. જ્યારે કોઇ સ્થળ પર વિશાળ સમુદાય એકત્ર થતો હોય ત્યારે એવા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે માર્ગ-મકાન વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે. TRP ગેમિંગ ઝોન માટે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરે સ્થળ તપાસ પણ નહોતી કરી. સરકારના પોતાના વિભાગોના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી.

  • ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી પ્રવેશ અને બહાર નીકળવા માટે એક જ રસ્તો હતો.
  • પહેલા માળે આવેલી સીડી માત્ર 4 ફૂટની હોવાથી આગ લાગી ત્યારે બીજા માળના લોકો પહેલા માળ સુધી જઇ શક્યા નહીં.
  • ગેમિંગ ઝોન, રેસ્ટોરન્ટ વચ્ચે સાવ ઓછું અંતર હતું.
  • ઇમર્જન્સી સમયે બહાર નીકળવાનો કોઇ રસ્તો નહોતો.
  • ગો કાર્ટિંગની જગ્યા પાસે કારમાં વપરાતા ફ્યૂઅલની ભરેલી ટાંકી હતી.

પોલીસે ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીં
ફાયર એનઓસીની તપાસ જવાબદાર બે પોલીસ-ઇન્સ્પેક્ટરે કરી જ નથી. વીજ કંપની પાસેથી કોઇ મંજૂરી કે અભિપ્રાય લેવાયો નથી. પોલીસે સ્થળ પર કોઇ જ જાતની તપાસ કર્યા વગર લાઇસન્સ જારી કરી દીધું હતું. પોલીસ વિભાગે જાહેર અને વિશાળ સમુદાય ભેગો થતો હોય ત્યારે સુરક્ષાની સંપૂર્ણ ચકાસણી કરવી પડે છે અને ચકાસણી કર્યા પછી લાઈસન્સ આપવાનું હોય છે, પરતું પોલીસ અધિકારીઓ સ્થળ પર ગયા વિના અને કોઇ નિયમોની ચકાસણી વગર લાઈસન્સ આપી દીધું હતું. પોલીસે ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીં.

Don`t copy text!