કેક બની કાળ, બેંગલુરુમાં બર્થડે કેક ખાવાથી બાળકનું મોત : માતા-પિતા ICUમાં દાખલ

બેંગલુરુના ભુવનેશ્વરી નગર વિસ્તારમાં સોમવારે બર્થડે પર કેક ખાવાથી 5 વર્ષના બાળકનું મોત થયું હતું. તેનાં માતા-પિતાની હાલત નાજુક છે. બંને KIMS હોસ્પિટલના ICUમાં દાખલ છે. હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

દંપતીની ઓળખ બલરાજ અને નાગલક્ષ્મી તરીકે થઈ છે. તેમના બાળકનું નામ ધીરજ હતું. બલરાજ સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. 6 ઓક્ટોબર, રવિવારના રોજ એક ગ્રાહકે કેકનો ઓર્ડર કેન્સલ કર્યો હતો, ત્યારબાદ બલરાજ કેક પોતાના ઘરે લઈ આવ્યા હતા.જો કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે બલરાજે તેમના પુત્રના જન્મદિવસ પર Swiggy દ્વારા બેકરીમાંથી કેક મંગાવી હતી. આ પછી તેણે પુત્ર ધીરજનો જન્મદિવસ ઊજવ્યો. માતા-પિતા અને બાળકો સાથે મળીને કેક ખાધી હતી. પછી ડિનર બાદ સૂઈ ગયાં હતાં.

સોમવારે સવારે ત્રણેયને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. ભારે દુખાવો થતા ચીસો પાડવા લાગ્યા. તેમની બૂમો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં બાળકનું મોત થઈ ગયું હતું.

બલરાજ અને નાગલક્ષ્મી બેભાન થઈ ગયાં. તેઓ ભાનમાં આવ્યાં પછી અધિકારીઓ તેમનું નિવેદન લેવાની રાહ જોઈ રહ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓને ફૂડ પોઈઝનિંગ થવાની આશંકા છે.પોલીસનું કહેવું છે કે આ મામલો આત્મહત્યાનો પ્રયાસ પણ હોઈ શકે છે. જો કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેકને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સ્વિગીએ નિવેદન જાહેર કર્યું, કહ્યું- ફૂડ સેફ્ટી અમારી પ્રાથમિકતા છે

સ્વિગીએ પણ આ ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ કહ્યું કે બેંગલુરુમાં બનેલી ઘટનાથી અમે દુઃખી છીએ. અમારી સંવેદના પરિવાર સાથે છે. અમારી ટીમ પીડિતાના પરિવારને મળવા હોસ્પિટલ ગઈ હતી. તેમને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે. અમે પણ આ મામલાની તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. ફૂડ સેફ્ટી અમારી પ્રાથમિકતા છે. અમે અમારા પ્લેટફોર્મ પર ફક્ત તે જ રેસ્ટોરન્ટનો સમાવેશ કરીએ છીએ જેની પાસે FSSAI લાઇસન્સ છે.

પંજાબના પટિયાલામાં કેક ખાવાથી 10 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ સિવાય અન્ય 4 લોકોની તબિયત પણ લથડી હતી. 24 માર્ચે બાળકીના જન્મદિવસે પરિવારે ઓનલાઈન કેક મંગાવી હતી. પોલીસે આ મામલે અદાલત બજાર ખાતે આવેલ કાન્હા કેક સામે ગુનો નોંધ્યો હતો.

પંજાબના પટિયાલા જિલ્લામાં જન્મદિવસ પર કેક ખાવાથી બાળકીના મોતનો મામલો તપાસ રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટમાં કેકને સિન્થેટિક સ્વીટનરથી બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. કેકને બનાવવા માટે સેકરીન મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિજય જિંદાલના જણાવ્યા અનુસાર, સેકરીનનો ઉપયોગ ખોરાક કે કોઈપણ પ્રકારના પીણામાં ખૂબ જ મર્યાદિત માત્રામાં થાય છે. જો તેની માત્રા વધારવામાં આવે તો શરીરમાં બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધે છે, જે મૃત્યુનું કારણ પણ બની શકે છે. આરોગ્ય વિભાગ હવે આ મામલે કેક તૈયાર કરતી ન્યુ ઈન્ડિયા બેકરી સામે પગલાં લેવાની અને દંડ વસૂલવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.